શું તમારે ફેટી લીવર છે કે નહીં? જાણો કયા ટેસ્ટ કરાવવા છે જરુરી?

By: nationgujarat
19 Apr, 2025
અમદાવાદ: ગુજરાતીઓને ખાવાના ખૂબ શોખીન માનવામાં આવે છે અને એ જ કારણ છે કે ગુજરાતમાં ડાયાબિટીસના કેસોમાં વધારો તેમજ અહીંના લોકો વધુ પડતા મેદસ્વી જોવા મળે છે. એ જ કારણ છે કે ગુજરાતમાં દર બે વ્યક્તિએ એકને ફેટી લીવર હોવાની શક્યતા વધુ હોય છે. નિષ્ણાતોના મતે ગુજરાતીઓમાં ફેટી લીવર હોવાની શક્યતા 30થી 50 ટકા છે. તેવામાં શું તમારે ફેટી લીવર છે કે નહીં તે જાણવું હોય તો કયા ટેસ્ટ કરાવવા જોઈએ એ જાણવું ખૂબ જરૂરી છે.

આમ તો શરીરમાં દરેક તકલીફનું મૂળ મેદસ્વીતા છે. બદલાતી લાઈફ સ્ટાઈલના કારણે લોકોમાં મેદસ્વીતાનું પ્રમાણ વધુ જોવા મળે છે. એ જ કારણ છે કે મેદસ્વીતાના કારણે ધીરે ધીરે લોકોમાં ડાયાબિટીસ અને ફેટી લીવરની તકલીફો વધી રહી છે. વિશ્વ લીવર દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે તમારે પણ એ જાણવું જોઈએ કે તમારું લીવર ફેટી છે કે નહીં. જાણીતા સર્જિકલ ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડો. ચિરાગ દેસાઈ જણાવે છે કે લીવર એ શરીરનું અગત્યનું અંગ છે પરંતુ બદલાતી લાઈફ સ્ટાઈલ, જમવામાં અનિયમિતતા, વધુ પડતો સ્ટ્રેસ, ડાયાબિટીસ જેવા અનેક કારણોને લીધે લીવરની તકલીફો વધી રહી છે. કોઈપણ વ્યક્તિને એક વાર લીવર અફેક્ટ થયા ત્યાર બાદ તેને નોર્મલ વ્યક્તિ કરતાં લીવર કેન્સર થવાની શક્યતા વધી જાય છે. આમ તો દર બીજી વ્યક્તિએ ફેટી લીવરની તકલીફ જોવા મળે છે. પરંતુ જે વ્યક્તિને પોતે પોતાને નોર્મલ માને છે તેવી વ્યક્તિ પણ જો ટેસ્ટ કરાવે તો તેને ફેટી લીવર હોવાની શક્યતા 50 ટકા જેટલી વધી જાય છે.

નોર્મલ વ્યક્તિને પોતાના લીવરની જાણ કરાવવી હોય તો બ્લડ ટેસ્ટમાં SGPT ટેસ્ટ કરાવવો જોઈએ તેમજ સોનોગ્રાફી કરાવવી જોઈએ. જે વ્યક્તિને ફેટી લીવર ગ્રેડ વન કે ગ્રેડ ટુ છે તેઓ વજન ઉતારે, સંયમી જીવન જીવે, ડાયેટરી મોડિફિકેશન રાખે તો તેને લીવરની તકલીફ ઘણી ઓછી થાય છે જ્યારે એ માત્રા વધી જાય, ફાઈબ્રોસીસ કે સીરોસીસ થઈ જાય ત્યારે રિવર્સિબલ રહેતું નથી.

 ફીજીશિયન ડો. પથિક પરીખ જણાવે છે કે ફેટી લીવરથી બચવા રિસ્ક ફેક્ટરનું મેનેજમેન્ટ કરવું ખૂબ જરૂરી છે. જેમ કે 2002 પહેલા જન્મ્યા છે તેઓને ઝેરી કમળાની રસી મળી હોતી નથી તો તેઓએ ઝેરી કમળાની રસી લઈ લેવી જોઈએ. તેમજ ખાવામાં ધ્યાન રાખવું જોઈએ, વજન વધારે ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ, ડાયાબિટીસનું નિયંત્રણ કરવું જોઈએ. આલ્કોહોલના સેવનથી દૂર રહેવું જોઈએ, આલ્કોહોલ પીવે છે તેને લીવરની તકલીફની શક્યતા વધારે છે. 100માંથી 40થી 50 ટકા આલ્કોહોલના કારણે લીવરની તકલીફ જ્યારે 50થી 60 ટકા લોકો અન્ય બીમારીઓના કારણે લીવરની તકલીફ જોવા મળે છે. ફેટી લીવર માટે ડાયાબિટીસ અને ઓબેસીટી તેમજ થાઈરોડ, કોલેસ્ટ્રોલ, અન્ય બીમારીઓના કારણે દવા લેતા હોય તેના કારણે ફેટી લીવર થાય છે. તેમજ આજકાલ જીનેટીક રીઝનના કારણે એટલે કે શરીરમાં ચરબી ન હોય તો પણ ફેટી લીવર જોવા મળે છે. જે માટે લાઈફ સ્ટાઈલમાં ચેન્જ એક માત્ર સોલ્યુશન છે.

Related Posts

Load more